રાજસ્થાનમાં એક દંપતિએ આત્મહત્યા કરી કારણ કે તેમની પુત્રીએ તેના બોયફ્રેન્ડ સાથે લગ્ન કર્યા હતા. દંપતીના આપઘાત બાદ એક સુસાઈડ નોટ પણ મળી આવી છે. આ સુસાઈડમાં લખ્યું છે કે, ‘અમારી દીકરીએ લવ મેરેજ કર્યા છે. જેના કારણે અમે (પતિ-પત્ની) પરેશાન છીએ અને આત્મહત્યા કરી રહ્યા છીએ. પોલીસે મારા પુત્રને હેરાન ન કરવો જોઈએ. સુસાઈડ નોટમાં આટલું લખ્યા બાદ દંપતીએ ચાલતી ટ્રેનની સામે ઝંપલાવ્યું હતું. આ ઘટના પાલી જિલ્લામાં પાલી-જોધપુર હાઈવે નજીક બની હતી. મંગળવારે દંપતીએ આત્મહત્યા કરી લીધા બાદ અહીં બધા ચોંકી ગયા છે.
આ અંગે પોલીસને જાણ થતાં તેઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને પોલીસે પતિ-પત્નીના મૃતદેહ બહાર કાઢ્યા હતા. સદર પોલીસ સ્ટેશનના આસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટર સત્યનારાયણ રાજપુરોહિતે આ ઘટનાની પુષ્ટિ કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે મૃતકોની ઓળખ અશોક વ્યાસ (55) અને તેમની પત્ની મીના વ્યાસ (50) તરીકે થઈ છે. આ કપલ પાલીના ઓલ્ડ હાઉસિંગ બોર્ડના રહેવાસી છે. મૃતકોના મૃતદેહને બાંગર હોસ્પિટલના શબઘરમાં રાખવામાં આવ્યા છે.
કહેવામાં આવી રહ્યું છે કે દંપતીની પુત્રીએ તેના પ્રેમી સાથે આંતરજ્ઞાતિય લગ્ન કર્યા હતા. લગ્નના એક દિવસ પહેલા સગાસંબંધીઓએ દીકરીને સમજાવવાની કોશિશ પણ કરી હતી, પરંતુ પોલીસની સામે યુવતીએ તેના સંબંધીઓને ઓળખવાની પણ ના પાડી દીધી હતી. અંતે યુવતીએ તેના બોયફ્રેન્ડ સાથે જવાની જીદ કરતાં પોલીસે તેને તેના બોયફ્રેન્ડ સાથે જવાની મંજૂરી આપી હતી. કહેવામાં આવી રહ્યું છે કે આ કારણે કપલ ડિપ્રેશનમાં આવી ગયું હતું. દંપતી ભાડાના મકાનમાં રહેતું હતું. મંગળવારે દંપતીએ ઘરને તાળું મારીને આત્મહત્યા કરી લીધી હતી.
જોકે, પોલીસ હજુ સુધી મૃતક દંપતીના પુત્રનો સંપર્ક કરી શકી નથી. દંપતીના પુત્રનો મોબાઈલ ફોન સ્વીચ ઓફ છે. છોકરા વિશે કોઈને કંઈ ખબર નથી. દંપતીને શબગૃહમાં રાખીને પોલીસ હજુ તેમના પુત્ર કે અન્ય સંબંધીને શોધી રહી છે.