ભારતીય હાઈ કમિશનર સંજય કુમાર વર્માએ શનિવારે કેનેડાને આડે હાથ લીધું હતું. તેમણે કહ્યું કે કેનેડાની ધરતી પર ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાની તપાસ સંપૂર્ણ રીતે પૂર્ણ થઈ નથી. પરંતુ તેમ છતાં કેનેડાએ નવી દિલ્હી પર આક્ષેપ કર્યો હતો. તેમણે કેનેડાને નિજ્જરની હત્યાના સંદર્ભમાં કરવામાં આવેલા આરોપોના પુરાવા રજૂ કરવા વિનંતી કરી હતી. ભારતીય રાજદૂતે કહ્યું કે જો જસ્ટિન ટ્રુડો તેમના દ્વારા કરવામાં આવેલા આરોપોના સમર્થનમાં કોઈ “ખૂબ જ ચોક્કસ અને સંબંધિત” પુરાવા આપે છે, તો ભારત તેના પર વિચાર કરશે.
CTV ન્યૂઝ ચેનલ સાથેની મુલાકાતમાં, હાઈ કમિશનરને કેનેડાના વડા પ્રધાન ટ્રુડો દ્વારા આતંકવાદી હરદીપ નિજ્જરની હત્યામાં “ભારત સરકારની સંભવિત સંડોવણી”ના આરોપો વિશે પૂછવામાં આવ્યું હતું. આના જવાબમાં વર્માએ કહ્યું કે, “હું આના પર બે વાત કહેવા માંગુ છું. એક તો એ કે તપાસ પૂર્ણ થયા વગર જ ભારતને દોષિત ઠેરવવામાં આવ્યા. શું આ કાયદાનું શાસન છે?”
પૂછવામાં આવ્યું કે “ભારતને કેવી રીતે દોષિત ઠેરવવામાં આવ્યું”, હાઈ કમિશનરે કહ્યું, “તેઓએ (કેનેડા) ભારતને સહકાર આપવા કહ્યું. જો તમે ચોક્કસ ગુનાહિત પરિભાષા જુઓ, જ્યારે કોઈ સહકાર આપવાનું કહે છે, તો તેનો અર્થ એ કે તમે પહેલાથી જ દોષિત ઠર્યા છો અને તમે વધુ સારી રીતે સહકાર આપો.” ભારતીય રાજદૂતે કહ્યું, “તેથી, અમે તેને ખૂબ જ અલગ રીતે લઈએ છીએ. પરંતુ, અમે હંમેશા કહ્યું છે કે જો કોઈ ચોક્કસ અને સંબંધિત માહિતી હોય, અને તે અમને કહેવામાં આવે, તો અમે તેની તપાસ કરીશું.” તમને જણાવી દઈએ કે વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, કેનેડા હત્યા પર પોતાના દાવાને સાબિત કરવા માટે કોઈ પુરાવા રજૂ કરી શક્યું નથી.
સપ્ટેમ્બરમાં, ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો વણસેલા હતા જ્યારે કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ બ્રિટિશ કોલંબિયામાં 18 જૂને ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટોની સંભવિત સંડોવણીનો આરોપ મૂક્યો હતો. ભારતે 2020માં નિજ્જરને આતંકવાદી જાહેર કર્યો હતો. ભારતે ટ્રુડોના આરોપોને ‘વાહિયાત’ ગણાવીને ફગાવી દીધા હતા. થોડા દિવસો પછી, ભારતે જાહેરાત કરી કે તે કેનેડિયન નાગરિકોને વિઝા આપવાની પ્રક્રિયાને અસ્થાયી રૂપે સ્થગિત કરી રહ્યું છે. તેણે કેનેડાને ભારતમાં તેના રાજદ્વારીઓની સંખ્યા ઘટાડવા માટે પણ કહ્યું હતું.